નેવર અલાઉ પેટ્રિયોટીઝમ ઓવર હ્યુમેનિટી (Life-Line Series)

ગઈ કાલે આપણને સૌને દેશભક્તિનો ઉભરો આવ્યો હતો. એમાં કશું ખોટું નથી. પણ એ પ્રાકૃતિક હોવો જોઈએ, રાજકારણીઓએ પીવડાવેલા નશાનો નહીં. આપણે સીમાડાઓ બાંઘીને દેશભક્તિમાં એવા તો રમમાણ થયા કે દેશભક્તિને માનવતાની પણ માથે ચડાવી બેઠા. એક વક્રોક્તિ ખબર છે? જે નેશનલ એન્થમ આપણા જુસ્સા, રાષ્ટ્રીયતા ને એકતાનું પ્રતીક છે એના રચયિતા રવીન્દ્રનાથ ટાગોરને નેશનાલિઝ્મ તરફ રોષ હતો કેમ કે તેઓ માનવતાને ઉપર ગણતા. બિલ્ડીંગ અ બેટર મેન ધેન નેશનની દ્રષ્ટિવાળા ગાંધીજી જોડે પણ એમને થોડો મતભેદ હતો. દીર્ઘદ્રષ્ટા ટાગોરે છેક 1908માં કહ્યું હતું કે ‘આઈ વીલ નેવર અલાઉ પેટ્રિયોટીઝમ ઓવર હ્યુમેનિટી એઝ લોન્ગ એઝ આઈ લિવ (I will never allow patriotism to triumph over humanity as long as I live).’

શું કહેવા માંગતા હતા ટાગોર? વ્યક્તિએ વિશ્વમાનવ બનવાનું છે. નેશન્સ એક સ્ટ્રકચર ને કલ્ચર માટે હોવા જોઈએ. માનસને ફક્ત દેશદાઝમાં ગોંધી નથી રાખવાનું, એ જ દાઝને માનવતા થકી પૃથ્વી આખીને અર્પવાની છે. સીમા પારની વ્યક્તિ ને વસ્તુને ઓળખવાની ને અપનાવવાની છે. આનો મતલબ હરગિજ એ નથી થતો કે કોઈ સીમા પારથી (અંગ્રેજો) આવીને સિતમ કરે તો કરવા દેવાના. બિલકુલ નહીં. એક થઈને સામનો કરવાનો ને જરૂર પડે હુમલો પણ. પણ એ થઈ ગયાના 75મા વર્ષ સુધીમાં પાછો વૈશ્વિક માનવતાનો હાથ પકડી લેવાનો. 

ડાયરાઓમાં વાહ-વાહ ઉઘરાવવા ખાતર ગોરાઓ તો આવા ને તેવાની રમૂજને સમજ ન જ બનાવી શકાય. આર્થીક ને રસિક કારણો વગર પણ વિદેશી ફેસ્ટિવલ્સ ને ફૂડને ધિક્કારવાની નીતિ ત્રાસવાદી છે. લાપસી સારી જ પણ ધરાહર તેને કેક સામે મૂકવાની શી જરૂર? બંને એન્જોય ન કરી શકાય? હેલોવીન ને ક્રિસમસથી ચીડતા લોકો ક્રિસમસની ફૂલ ડેની રજા નથી જોઈતી કહીને આંદોલન પર કેમ નથી ઉતરી જતા? વિદેશમાં જઈનેય થેપલા ને પરોઠા વગર રહી નહીં શકતા સોશ્યલ મીડિયા પર ફોટોઝ મૂકતા લોકો પરદેશી ફેસબુક ને વોટ્સએપ છોડી કેમ નથી દેતા? આવું સગવડિયું પેટ્રિયોટીઝમ કેમ? જો એટલું જ દાઝતું હોય તો આપણે સંશોધનોમાં કેમ પહેલા ક્રમાંકે નથી? 

મેરા ભારત મહાન સદીઓ સુધી વગાડ્યા કરવાથી કંઈ થઈ નથી જતું. યોગદાન આપવું પડે દરેક પેઢીએ. દેશપ્રેમના નામે ધંધો કરી લેવા ‘કીમ્ભો’ જેવા ફક્ત ને ફક્ત સંસ્કૃતને વટાવી લેવાના માર્ગે ઇમ્પ્રેક્ટિકલ રખાયેલા નામવાળી એપ બને ને તેની સિક્યુરિટી ટેક્નિકાલિટીઝ ફક્ત 24 કલાકમાં જ હવા થઈ જઈને ફેઇલ્યોર કેમ જાહેર થઈ જાય છે? બાબા ને નેતાઓના આવા પેદા કરેલા દેશપ્રેમથી જાતને અળગી રાખવાની જરૂર છે. ભલે દેશના સીમાડા પૂરતો જ રાખવો હોય તો પણ માનવપ્રેમ ઉચ્ચ રાખવો હિતાવહ છે. નહીં તો કોરોનાની બીજી લહેરનો રોષ લોકોમાં પૂરો થયા પછી ઓક્સીજનથી એક પણ મૃત્યુ નથી થયું એવું બેશરમીથી કહેવાવાળા નેતાઓ રાક્ષસી મોં ફાડીને બેઠા જ હોય છે. એમને ખબર છે કે એકબીજાની સેવા કરીને જનતા થાકી છે ને ઊંઘી ગઈ છે ત્યારે તેને જ દોષી ઠેરવીને તેના પર આત્મનિર્ભરતા, અર્થતંત્ર ને યુવા વિકાસ માટે 100 લાખ કરોડ જેવા શબ્દોના થર બનાવી દો એટલે એ જાગશે જ નહીં ને પૂછશે જ નહીં કે આ 100 લાખ કરોડ દર વર્ષે કેમ જાહેર થાય છે?

શેરશાહ ફિલ્મમાં પરમવીર ચક્ર વિજેતા શહીદ કૅપ્ટન વિક્રમ બત્રાનો સંવાદ છે કે ‘વોર બડી કુત્તી ચીજ હૈ.’ જેણે જાન આપી દીધી એ વ્યક્તિ પણ જો સમજતી હોય તો આપણે તો કોરોના કાળમાં ઘરે પર સખણા બેસી નથી શકતા તો દેશભક્તિ ને માનવતા ક્યાંથી સમજવાના. દેશભક્તિ ‘મા-બાપને કદી ભૂલશો નહીં’ જેવી યુનિવર્સલ ગળથૂથી છે ને ટાગોર જેવા વ્યક્તિ કહી ગયા છતાં તેમની વાત પ્રચલિત નથી એ સ્વાભાવિક છે. અસહમતી રહેશે જ કેમ કે અંદર સુધી જે કોતરાઈ ગયું હોય તેનાથી અલગ કશું અપનાવવું તો ઠીક એ વિષે વિચારવું જ અઘરું પડે. પણ ટાગોરનો આશય પેટ્રિયોટીઝમની સામે માનવતાને મૂકવાનો નહોતો. એનાથી ફક્ત ઉપર મૂકવાનો હતો. ટાગોરે કહ્યું એમ નેશનાલિઝ્મ ને ઝેનોફોબિયા વચ્ચે પાતળી રેખા છે. જાતિબંધુને પ્રેમ કરવામાં બીજાને નફરત કરવી જરૂરી છે? બીજાને હેટ કરીને શા માટે આપણું હેત વધારવું છે? 

આપણી આદત બની ગઈ છે એક સામે બીજાને રાખી દેવાની. પેરેન્ટ્સના પ્રેમ માટે પણ સામે વિજાતીય આકર્ષણવાળા પ્રેમને વિલન બનાવવાની વિકૃત માનસિકતા થઈ ગઈ છે આપણી. ઋષિઓની જે સંસ્કૃતિનો ખાલી ઝંડો લઈને આપણે દોડીએ છીએ એ ઋષિઓએ આવું નથી જ શીખવ્યું. ગાંધાર દેશની રાજકુમારી સાથે કૃષ્ણયુગમાં જ લગ્ન થયેલા ધૃતરાષ્ટના. ને અત્યારે પેટા જાતિમાં લગ્ન થતા હોય એમાં પણ કોઈ દૂરનો ફુઓ બોલી ઉઠે કે આપણે તો અલગ બ્રાહ્મણ કહેવાઈએ. એ વખતના અફઘાનિસ્તાન સાથે સંબંધ બાંધેલો ભારતવર્ષે ને આજે તાલિબાનો ત્યાં ઘર કરી જાય ત્યારે આપણે આપણા એ મિત્રદેશ સામે કાચી સમજણમાં આઈ હેટ અફઘાનિસ્તાન ટ્રેન્ડ કરી દઈએ છીએ. અરે! આઈ હેટ તાલિબાન કહો, ટેરેરિસ્ટ એ છે, પાણી માટે વલખા મારતી ઘર વગરની થઈ ગયેલી ત્યાંની માનવજાત નહીં!

ટાગોરે કહેલું કે હું દેશભક્તિના નામે હીરાની કિંમતે કાચ ક્યારેય નહીં ખરીદું. તેમની પારખું નજર દેશહિતના નામે અપાતી નિષ્ફ્ળતાની સસ્તી ગોળીઓ જોઈ ગઈ હશે કદાચ. તેના ઘેનમાં મોંઘવારી ને મહામારી સહી લેતા આપણે ગરીબો આડે બનાવી દેવાતી દીવાલો જોઈ નથી શકતા કેમ કે માનવતાની ગોળીઓ મોંઘી કરી દેવાઈ છે જે પરવડે તેમ નથી. ખેડૂતોની દશા ને લોકો પર થતા અત્યાચારના કારણે આપણા ક્રાંતિકારીઓએ આઝાદી માટે જીવ હોમી દીધા હતા. પણ શું આજે આપણે એ આઝાદીને લાયક છીએ? ગાંધીજીએ આઝાદી વખતે ઉત્સવ નહોતો મનાવ્યો. તેઓ તેમના કામમાં કાર્યરત જ હતા કેમ કે તેમની સ્વતંત્રતાની વ્યાખ્યા દેશ નહીં માનવતાની હતી. લોકોના દર્દ માટે અવાજ ઉઠાવનાર પત્રકારને મેગ્સેસે અવોર્ડ મળે ત્યારે એ વિચારવું પડે કે અમુક સિદ્ધિઓના પાયામાં રહેલી હાલત કેટલી દયનીય હોય છે. વિશ્વ નાગરિક બનીને સુખ ને દુઃખ વહેંચવાનું છે, નહીં તો આવનારી પેઢી પૂછશે કે કાબુલના એરપોર્ટ પર અમેરિકાની ફ્લાઈટ સામે આશરા માટે અફઘાનીઓ દોડતા હતાં ત્યારે તમે ક્યાં હતાં?

માનવતાના સઘળા રંગોના સમન્વયવાળો ખેલમહોત્સવ ઓલિમ્પિક શરૂ થયેલો દેશોની એકબીજા સામે લડવાની રમત ગમતના અંદાજમાં પૂર્વતૈયારી રૂપે જ, પણ આજે સ્થિર છે ‘વસુધૈવ કુટુમ્બકમ’ના આપણા જ મંત્ર પર. ને આપણે તોય પાછળ જ છલાંગ લગાવવી છે. તિરંગાના એક જ રંગના પ્રેમની કટ્ટરતાનું જ્ઞાન અમૃત જેમ વહેંચનારા ને પીનારા પેટ્રિયોટિક લોકો આજના હાઈપર નેશનાલિઝ્મમાં ટાગોરને દેશદ્રોહી કહી દે તો પણ જરાય નવાઈ નહીં લાગે.

સાથે આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું આ ક્વોટ પણ વાંચો - રાષ્ટ્રવાદ એક રોગ છે. જો આપણે અસહિષ્ણુ, સંકુચિત અને હિંસક લોકો વચ્ચે રહેવાનું ન હોત, તો હું સાર્વત્રિક માનવતાની તરફેણમાં તમામ રાષ્ટ્રવાદને ફેંકનાર પ્રથમ હોત. (Nationalism is a disease. If we did not have to live among intolerant, narrow-minded & violent people, I would be the first to throw over all nationalism in favour of universal humanity.)

દેશભક્તિના નામે પહેલા હદની પેલે પાર ખોતરવામાં આવે છે પછી હદની અંદર. જયારે માનવતાની કોઈ હદ જ નથી. માનવતા પરમો ધર્મ!

ટાગોરના પુસ્તક ને ભાષણોના અમુક અવતરણો:

- દેશભક્તિ આપણું અંતિમ આધ્યાત્મિક આશ્રય ન હોઈ શકે. જ્યારે કોઈ દેશ માટેનો પ્રેમ પૂજાનો માર્ગ બને છે, ત્યારે આપત્તિ જ પરિણામ હોય. હું મારા દેશની સેવા કરવા તૈયાર છું; પરંતુ મારી પૂજાનો અધિકાર દેશથીય વધારે હોય એવી ચીજ માટે અનામત રાખું છું. મારા દેશને ભગવાન તરીકે પૂજવું એ તેના પર શ્રાપ આણવા બરાબર છે.

- ભલે નાનપણથી મને શીખવવામાં આવ્યું હોય કે રાષ્ટ્રની પૂજા ભગવાન અને માનવતા પ્રત્યેના આદર કરતાં લગભગ વધુ સારી છે, હું માનું છું કે મેં તે શિક્ષણને પાછળ છોડી દીધું છે, અને મારો વિશ્વાસ છે કે મારા દેશવાસીઓ તે શિક્ષણ સામે લડીને સાચે જ પોતાનું ભારત પ્રાપ્ત કરશે!


ક્વોટમેનિયા:

સંકુચિતતા એટલે સર્વનાશે સજાવેલી સીડી!

Comments

Popular Posts